ગુજરાતમાં વરસાદે ત્રીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્રનો વારો કાઢ્યો છે. ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, દ્વારકા, જામનગર સહિતના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે. ત્યારે આજે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે.

આગામી 4 દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદ રહેશે. ખાસ કરીને હજુ પણ સૌરાષ્ટ્રને મેઘો ઘમરોળશે, જેમાં જૂનાગઢ, જામનગર, પોરબંદર, રાજકોટ, ભાવનગરમાં સૌથી વધુ વરસાદ ખાબકશે તેવી આગાહી છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. વલસાડ, દમણ, દાદર નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. માછીમારોને 4 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ.

અંબાલાલની શું આગાહી ?

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 24 જુલાઈએ બંગાળની ખાડીમાં બીજી સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે આજ થી 29 જુલાઇ સુધીમાં ગુજરાતમાં ફરી વરસાદ થઈ શકે છે. મુશળધાર વરસાદને પગલે નર્મદા નદીમાં પૂર આવવાની શક્યતા છે. સાથે જ સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે. ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમની જળસપાટી પણ વધી શકે છે.

આગામી 24 જુલાઈ સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદનું જોર યથાવત રહેશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર ,મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, સાબરકાંઠા અને કચ્છ જિલ્લામાં પણ 24 તારીખ સુધી વરસાદનું જોર યથાવત રહેશે.

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 27 જુલાઈથી વરસાદની અન્ય એક સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદ લાવશે. વરસાદના પગલે અનેક નદીઓના જળસ્તરમાં વધારો થશે. 4 ઓગસ્ટથી અરબ સાગરમાં ડીપ ડીપ્રેશન સર્જાશે. જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસશે. ઓગસ્ટના મધ્ય સુધી રાજ્યમાં વરસાદ વિરામ લે તેવા સંકેતો નહિવત છે.

 

Krushikhoj WhatsApp Group